સાબરકાંઠા જિલ્લાના અંબિકા માતાજી મંદિર ખેડબ્રહ્મા ખાતે આયોજિત થનારા ચૈત્રી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતી 31 માર્ચ 2026 થી 2 એપ્રિલ 2026 સુધી ત્રણ દિવસીય મેળો યોજાશે, જેમાં વિવિધ વેપાર-ધંધા માટે સ્ટોલ મૂકવા ઈચ્છુકો માટે પ્લોટોની જાહેર હરાજી યોજવામાં આવશે.
માહિતી મુજબ, મેળામાં શ્રીફળ, ચૂંદડી, પ્રસાદ, ચા-નાસ્તો, ખાણીપીણી, પુસ્તકો તેમજ મનોરંજન સંબંધિત આઈટમોના સ્ટોલ માટે “માતાજી ગામતળ” તરીકે ઓળખાતી જમીનમાં પ્લોટો ફાળવવામાં આવશે. આ પ્લોટો જાહેર હરાજી દ્વારા ભાડે આપવામાં આવશે.

હરાજી 27 માર્ચ 2026ના રોજ શુક્રવારે સવારે 10:00 વાગ્યે મંદિર નજીક ટાવર પાસે યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છુકોએ સ્થળ પર હાજર રહેવું જરૂરી રહેશે.
તાલુકા મામલતદારશ્રીએ જણાવ્યું છે કે હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ફરજિયાત બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે. જરૂરી દસ્તાવેજો વગર કોઈને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્થાનિક વેપારીઓ અને જનતાને આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
