News

વડાપ્રધાનશ્રીના નવસારી આગમન પૂર્વે ‘સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ૬ઠ્ઠા દિવસે ૧૧૦ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ

શનિવાર: નવસારી:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનના ૬ઠ્ઠા દિવસે આજરોજ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના ૩૮૫ ગામો પૈકી ૧૧૦ ગામો અને ૨૦૪ જાહેર સ્થળોની સફાઈ પૂર્ણ કરીને કુલ ૮૨.૦૫ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાનને સુચારુ રૂપે પાર પાડવા માટે જિલ્લાભરમાં ૬૩૬ કર્મચારીઓની ૧૫૯ સફાઈ ટીમો તૈનાત કરાઈ હતી, જેમાં ૧૨ જેસીબી/લોડર/ટ્રક અને ૫૯ અન્ય વાહનો સહિત કુલ ૭૧ વાહનોનો ઉપયોગ કરાયો હતો.


તાલુકાવાર સફાઈ કામગીરીની વિગતો જોઈએ તો, જલાલપોર તાલુકામાં ૧૮૯ કર્મચારીઓની ૪૭ ટીમો દ્વારા ૨૯ ગામો અને ૫૨ જાહેર સ્થળોની સફાઈ કરીને સર્વાધિક ૨૩.૦૨ ટન કચરો હટાવાયો હતો. ગણદેવી તાલુકામાં ૧૨૨ કર્મચારીઓ અને ૩૧ ટીમો દ્વારા ૨૪ ગામો તથા ૪૪ જાહેર સ્થળો પરથી ૨૧.૦૧ ટન કચરાનો નિકાલ કરાયો હતો. આ ઉપરાંત નવસારી તાલુકામાં ૧૭૬ કર્મચારીઓ અને ૪૪ ટીમોએ ૨૮ ગામો તથા ૫૧ જાહેર સ્થળોમાંથી ૧૮.૯૦ ટન કચરો એકત્રિત કર્યો હતો. ચીખલી તાલુકામાં ૧૨૭ કર્મચારીઓની ૩૨ ટીમો દ્વારા ૨૫ ગામો અને ૪૭ જાહેર સ્થળો ખાતે ૧૭.૦૪ ટન કચરાનો સક્ષમ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે વાંસદાના ૨ ગામોમાંથી ૧.૦૬ ટન અને ખેરગામના ૨ ગામોમાંથી ૧.૦૨ ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૩૬ કિ.મી.ના રસ્તાઓની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવી હતી.


જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે સમગ્ર નવસારી જિલ્લાને સ્વચ્છ, સુંદર અને ‘ઝીરો પ્લાસ્ટિક’ ધરાવતો ગ્રીન ઝોન બનાવવા માટે તમામ વિભાગો પરસ્પર સંકલન સાથે કાર્ય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *