વ્યારા: તાપી જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીરના વેચાણ અને ઉપયોગ અંગે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા અત્યાર સુધી જિલ્લામાં 25થી વધુ હોટલ, ફાસ્ટ ફૂડ સેન્ટર તેમજ રેસ્ટોરન્ટમાં ચકાસણી કરવામાં આવી છે.
ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી થયેલી તપાસ દરમિયાન કોઈપણ સ્થળેથી પ્રતિબંધિત પ્રકારનું એનાલોગ પનીર મળી આવ્યું નથી. વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સતત નિરીક્ષણ અને તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. જો ભવિષ્યમાં કોઈ સ્થળે નિયમોનું ઉલ્લંઘન અથવા પ્રતિબંધિત એનાલોગ પનીરનો ઉપયોગ થતો જણાશે તો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં ખોડિયાર રેસ્ટોરન્ટ, બાજીપુરા સ્થિત હોટલ મુરલીધર કાઠિયાવાડી, શેર-એ-પંજાબ ધાબા, હોટલ તુલસી–2, બાજીપુરા સ્થિત હોટલ મહાદેવ તેમજ હોટલ સૌભાગ્ય ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલ સૌભાગ્યમાં સુમુલ મિલ્ક પનીરનો ઉપયોગ થતો હોવાનું નોંધાયું હતું.
ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું છે કે ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ રહે તે માટે જિલ્લામાં આવી તપાસ આગામી દિવસોમાં પણ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.
