શહીદના પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ કરી સાંત્વના પાઠવી
તાપી, તા. 14: દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર તાપી જિલ્લાના ઉખલદા ગામના વીર શહીદ ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરીને 157-માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ઋત્વિકકુમાર ચૌધરી 57 રાઈફલ્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા અને દેશની રક્ષા દરમિયાન શહીદી વહોરી હતી. તેમના બલિદાનને યાદ કરી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ શહીદના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ શહીદના માતા-પિતાની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. સાથે જ સંવેદનશીલતા દાખવી શહીદના પરિવારને રૂ. 1 લાખની રોકડ સહાય અર્પણ કરી હતી.
ધારાસભ્યશ્રીએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર શહીદ ઋત્વિકકુમાર ચૌધરીના શૌર્ય અને બલિદાનને નમન કરી પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત અને સાંત્વના મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
વીર શહીદનું બલિદાન સમગ્ર તાપી જિલ્લા તેમજ દેશવાસીઓ માટે ગૌરવની બાબત છે. તેમના દેશપ્રેમ અને શૌર્યને હંમેશા યાદ કરવામાં આવશે.
